એક ગામમાં એક સંત આવ્યા. રસ્તામાં કોઈ હવેલી પર પાંચ ધજા લહેરાતી દેખાઈ, એટલે કોઇ મંદિર હશે, એમ માની અંદર દર્શન કરવા માટે ગયા. તો ખબર પડી કે એ તો કોઈનું રહેઠાણ છે..! પણ આટલી બધી ફરફરતી ધજાઓએ એમના આશ્ચર્યમાં વધારો કરી દીધો હતો એટલે છેવટે પૂછી જ લેવું, એમ વિચારી એમણે દરવાજા પરની ઘંટડી મારી.
સેવકે દરવાજો ખોલ્યો અને શેઠ પાસે લઈ ગયો. શેઠે નમન કર્યું અને બેસવા આસન આપ્યું. હવે સંતથી રહેવાયું નહીં એટલે રહેઠાણ પર આટલી ધજાઓ રાખવાનું કારણ સીધું પુછી જ લીધું.
શેઠે ગુમાનથી કહ્યું, " સાચું કહું તો મારી પાસે જેટલા લાખ રૂપિયા છે, એટલી ધજાઓ હું હવેલી પર રાખું છું. હવે તૈયારી જ છે નવી એક ધજા ઉમેરવાની.”
સંતને આખી પરિસ્થિતિનો ખ્યાલ આવી ગયો. એમણે શેઠને કહ્યું, " મને એ જાણીને ખૂબ આનંદ થયો કે તમે આટલા ધનવાન છો. કેટલાય દિવસથી મને ઊંઘ નહોતી આવતી. હવે મને શાંતિ થઈ. શું હું તમને મારી એક અમાનત સાચવવા આપી શકું?"
શેઠે તો ખુશ થઈને 'હા' પાડી એટલે સંતે એમને પૂછ્યું કે તમે મારી એક અમાનત સાચવશો? શેઠે થોડા મશ્કરી વાળા ભાવમાં કહ્યું," આ મારી લાખો રુપિયાની મિલકત સાચવું છું, તો તમારી પાસે છે શું? આ કમંડળ, ઝોળી અને ધોતિયું જ ને! એને કોણ લઈ જવાનું હતું? પડી રહેશે એક ખૂણામાં! કશું નહીં થાય. આપો તમતમારે.
સંતે ઝોળીમાંથી એક સોય કાઢી અને શેઠને આપતાં કહ્યું," લો શેઠ, આ મારી સોય તમને સાચવવા આપું છું, એને બરાબર સંભાળીને રાખજો અને આવતા જન્મમાં મને પાછી આપજો.”
હવે ચોંકવાનો વારો શેઠનો હતો. આવતો ભવ?
અરે! હું મારું શરીર પણ લઈ જઈ નહીં શકું અને એમની સોય ક્યાંથી આપી શકીશ?
હવે એની આંખ ખુલી ગઈ અનેતે સીધો સંતના ચરણમાં ઝૂકી ગયો. સંતે એને ઉભો કર્યો અને કહ્યું,
" આ તારી હવેલી પર ધજાઓ નહીં પણ તારો અહંકાર ફરકે છે, એને જલ્દીથી દૂર કર."
દોસ્તો, એ શેઠની જેમ આપણે પણ કેટકેટલી ધજાઓ સતત સાથે લઈને ફરીએ છીએ! એક સોય પણ મૃત્યુ પછી લઈ જવાની ત્રેવડ નથી. આ 'મારું મારું' નીકળી જાય પછી જીવન સરસ જ છે.